ગુજરાતમાં ઉનાળો શરૂ થતાં જ ડુંગળીના ભાવ વધે તેવી શકયતા છે.
નવી દિલ્હી તા. ૨ રવિ પાકના વાવેતરના આંકડા પ્રમાણે આ વર્ષે જુવાર, વરિયાળી અને મકાઈનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં વધારે થયું છે. જયારે લસણ, સવા, ઈસબગુલ અને ડુંગળીનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું છે. બટાકાં અને અન્ય શાકભાજીનું વાવેતર પણ આ વર્ષે ઓછું જોવા મળતાં ઉનાળામાં ભાવમાં વધારો થાય તેવી શકયતા છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોથમીરનું વાવેતર ૫૭ ટકા ઓછું હતું, જયારે લસણનું વાવેતર ૪૯ ટકા ઓછું હતું તો ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઓછું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષના ઓગસ્ટમાં ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ વધીને ૫૦ રૂપિયા થાય તેવી શકયતા છે. મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવ વધવાની શકયતાને જોતા સરકાર પણ ચિંતિત રહેશે.
સામાન્ય રીતે દર વર્ષે ૩૧.૩૫ લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે માત્ર ૨૮.૩૭ લાખ હેકટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરાયું છે. કૃષિ હિતધારકોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ઓછો વરસાદ અને સિંચાઈ માટે ઓછું પાણી રવિ પાકના ઓછા વાવતેર માટે જવાબદાર છે. ડુંગળી, લસણ અને કોથમીરનું વાવેતર મોટેભાગે સૌરાષ્ટ્રમાં કરવામાં આવે છે જયાં પાણીની તંગી પ્રવર્તે છે.
ખેડૂતોએ કહ્યું કે મોટા ભાગનો પાક બગડી જતો હોવાથી અને સારા પાકની કોઈ ખાતરી નહીં હોવાના કારણે કેટલાક લોકોએ ઘાસચારાનો વિકલ્પ પસંદ કર્યો છે, જે અછતના સમયમાં પણ વેચાવાની ખાતરી પૂરી પાડે છે. એક વરિષ્ઠ કૃષિ અધિકારીએ જણાવ્યું કે જુવાર, જીરૂ, વરિયાળી અને ઘાસચારો સિવાય રાજયમાં મુખ્ય ૧૭ એવા પાકની વાવણી ૧૦૦ ટકા કરતાં પણ ઓછી છે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી બધા પાકની વાવણી લગભગ ૧૦૦ ટકા જેટલી હોય છે. જયારે ૨૦૧૮ના જાન્યુઆરીમાં ૨૧માંથી માત્ર ૧૩ પાકની ૧૦૦ ટકા વાવણી નોંધાઈ હતી.
રાજયના ડેમોમાં પાણીના ઘટતા જતા સ્તરને જોતા ઉનાળામાં લેવાતા પાક પર પણ અસર થશે તેમ અધિકારીઓનું કહેવું છે. સરકારે રવિ પાક લેવા માટે જે રીતે નર્મદાનું પાણી આપ્યું હતું તે રીતે ઉનાળું પાક લેવા માટે પાણી આપશે નહીં. અધિકારીએ જણાવ્યું કે, 'સરકાર ઉનાળામાં પીવાનું પાણી પૂરુ પાડવા માટે નર્મદાનું પાણી સુરક્ષિત કરશે.'
- અકિલા સમાચાર