સૌરાષ્ટ્રની ગ્રામીણ સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ર૩ વર્ષ બાદ નેતૃત્વ પરિવર્તન થયુ છે. ૧૯૯પ થી બેંકને નેતૃત્વ પુરૂ પાડી રહેલા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ નાદુરસ્ત તબીયતના કારણે રાજીનામું આપતા તેમના સૂપૂત્ર રાજયના નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયાએ આજથી ચેરમેન તરીકે સુકાન સંભાળ્યુ છે.
જિલ્લા બેંકના ચેરમેન પદે ચૂંટાયા બાદ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે આ બેંકમાં ૨.૨૫ લાખ ખેડૂત સભાસદો છે. જેઓ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ મારફત બેંક સાથે જોડાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની મોટી સહકારી સંસ્થા છે અને ભવિષ્યમાં જરૂરીયાત અનુસાર ખેડૂતોના હિત માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોના હક્ક-હિત માટે સંસ્થા દ્વારા અનેકવિધ નિર્ણયો કરવામાં આવેલ છે.
વિઠ્ઠલભાઇ રાદડિયા દિવાળીના વખતથી બિમારીના કારણે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની લાંબી ગેરહાજરીની વહીવટ પર વિપરીત અસર ન પડે તે માટે તબીબી પ્રમાણ પત્રના આધારે બોર્ડ ઓફ ડીરેકટર્સે તેમના રાજીનામાની પ્રક્રિયા હાથ ધરેલ. જિલ્લા રજીસ્ટ્રારે ચેરમેન પદને ખાલી ગણી નવી ચૂંટણી માટે આજનો કાર્યક્રમ જાહેર કરેલ ચૂંટણી અધિકારી તરીકે ડી. ડી. ડી.ઓ. શ્રી ધીરેન મકવાણાની નિમણુક કરેલ. આજે બોર્ડ બેઠકમાં અન્ય કોઇએ ઉમેદવારી ન નોંધાવતા જયેશ રાદડીયાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતાં. તેઓ આવતા સવા બે વર્ષ સુધીની મુદત માટે ચૂંટાયા છે. ત્યારબાદ બેંકની સામાન્ય ચૂંટણી આવી રહી છે. તેઓ વર્ષોથી બેંકના ડીરેકટર પદે રહેલ. બેંકના વહીવટથી પરિચિત છે.