સંસ્થાનું નામ – ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ, ગીર ગઢડા, જીલ્લો – ગીર સોમનાથ.
મોબાઇલ નંબર – ૯૯૭૮૮૨૨૫૩૩, ઈમેલ – gkvpcl26@gmail.com
ખેડુત કઈ રીતે પોતાની પેદાશના પુરતા ભાવ લે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે ગીર સોમનાથ જીલ્લાની ખેડુતો દ્વારા નિર્માણ થયેલ ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ. કંપની સાથે જોડાયેલ ખેડુતો કેસર કેરી મહોત્સવના આયોજન થકી ખેડુતો દ્વારા પોતાની ખેતીની ઉપજ સીધા જ બજારમાં વેચીને બમણી આવક કમાઈ રહ્યા છે. કેસર કેરી મહોત્સવનું આયોજન કરી ખેડુતો પોતાનુ ઉત્પાદન સીધા ગ્રાહકનેદિલ્લી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વેચે છે. કેસર કેરી મહોત્સવને મળેલ સફળતાને જણાવતા કંપનીના ડાયરેક્ટર રાજેશ પાઘડળ કહે છે કે આવા દરેક ખેત પેદાશોના મહોત્સવનું આયોજન કરવાથી ખેડુતની આવક જરૂર બમણી થશે. સરકાર પણ ખેડૂતની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે ત્યારે ખેડુતની આવક બમણી કરવા માટે ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે આ સંગઠન સંગઠીત ખેતી, સમૃધ્ધ ખેડૂત ના સિદ્ધાંતને અનુસરી ખેડુતની આવકને બમણી કરવાના પ્રયાસને સાર્થક કરી રહ્યા છે. ગીર વિસ્તાર ’કેસર કેરી’ અને ‘કેસરી સિંહ’ એમ બે નામથી દેશ વિદેશમાં જાણીતો બન્યો છે. કેસર કેરીનું ઉત્પાદન કરતાં ખેડુતો સામાન્ય રીતે પોતાનું ઉત્પાદન APMC માર્કેટ યાર્ડમાં વેચતા. પુરતા ભાવ ન મળતા અનેક ખેડુતોએ કેરીનાં આંબા કાપી નાખ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે કેરીનું ઉત્પાદન વર્ષમાં એક વાર આવે અને પુરતા ભાવ પણ મળતા નથી. આવા સમયે પ્રોડ્યુસર કંપની ખેડુતો માટે ‘સુખનો સુરજ ઊગ્યો’ હોય તેમ દેખાય રહ્યું છે. રામપરા ગીરના અશ્વિનભાઇ સાંગાણીના જણાવ્યા પ્રમાણે આજે તેઓ પોતાનું કેરીનું 10 કીલોનું બોક્સ સારા એવા ભાવ થી બજારમાં સીધા ગ્રાહકને વેચે છે તથા સારી ગુણવત્તાની કેરી ગ્રાહકને સીધા ખેડુત પાસેથી મળે છે. ગીર ગઢડાના ખેડુતશ્રી પરષોતમભાઈ હિરપરા કહે છે કે કેસર કેરી મહોત્સવના આયોજન થકી આજે તેઓ આર્થીક રીતે પગભર થયા છે. સામાજિક જવાબદારીના ભાગ રૂપે કંપની ખેડુતો અને ગ્રાહકોને કેશલેસ નાણાકીય વ્યવહારો કરતાં થાય તે માટે POS મશીન અને Paytm વોલેટ જેવા આધુનિક તકનીકીનો પણ ઉપયોગ કરે છે. આ પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ આત્મા અને નાબાર્ડના સહયોગ થકી નર્માણ થયેલ છે. ખેતી ક્ષેત્રે સહકારી ધોરણ સદંતર નિષ્ફળ રહ્યુ છે. સરકારશ્રીના અનેક પ્રયાસ છતાં પણ અનેક સહકારી મંડળી ખોટ ખાઈને ધંધો કરી રહી છે. અત્યારે ગામડામાં એક પ્રકારની ક્રાંતિ ચાલી રહી છે જેમાં ખેડુતો કંપની સ્થાપી રહ્યા છે અને એક નવા જ અભિગમ સાથે બજાર સાથે જોડાઈ રહ્યા છે. ભારત સરકાર પણ નવી યોજનાઓ લાવી આજે FPO ને નવો રાહ દેખાડી રહી છે આમ ભારતીય ખેડુતો કોર્પોરેટ ક્ષેત્ર સાથે ખરા અર્થમાં જોડાય રહ્યા છે. પ્રોડ્યુસર કંપનીના કોર્પોરેટ માળખાને રાજકારણ કે રાજ્ય સરકારના પ્રભાવની કોઈ અસર થતી નથી. આત્માના અધિકારીના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં આવી પ્રોડ્યુસર કંપની બજારમાં જરૂર પ્રભાવ પાડશે.