શું સરકાર કઠોળની નિકાસને મંજૂરી આપશે ?
લેખક: અનુપ જયપુરકર
પુના, 24 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે તાજેતરમાં અડદ અને મગની દાળની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. આ વર્ષે માર્ચમાં સરકારે તુવેરની દાળ પર 10% નો આયાત દર લાદ્યો હતો. ખેડૂતો માટે આ સારા સમાચાર છે. તહેવારોની મોસમ શરુ થતાની સાથે જ ખેડૂતોને સ્થાનિક બજારોમાં કઠોળની સારી કિંમત મળે તેવી અપેક્ષા છે.
સૂત્રોનું કહેવું છે કે, ભારતની કઠોળના જથ્થાની સ્થિતિ આ વર્ષે ખુબજ સારી છે અને માટે જ સરકાર કદાચ ખેડૂતોને 8 વર્ષના અંતરાળ બાદ નિકાસ કરવાની મંજૂરી આપી શકે છે!.
અત્યાર સુધીની જથ્થાની સ્થિતિ
સારા વરસાદની સાથે સરકાર દ્વારા પ્રોત્સાહન મળતા દેશમાં કઠોળનું ઉત્પાદન ગયા વર્ષના 163 લાખ ટનથી વધીને આશરે 230 લાખ ટન થયું હતું. દેશનું અડદ દાળ નું ઉત્પાદન લગભગ 10 લાખ ટનથી બમણું થઇ 20 લાખ ટન થયું છે અને મગ દાળનું ઉત્પાદન 15 લાખ ટનથી વધીને લગભગ 24 લાખ ટન થયું છે. હાલ માંજ સરકાર દ્વારા જે 3 લાખ ટન આયાત મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પણ પરિપૂર્ણ થઇ છે. હવે, આપણા ખેડૂતો પાસે આશરે 10 થી 12 લાખ ટન અડદ અને મગની દાળ છે જે નિકાસ કરી શકાય છે. હવે આ સરકારની જવાબદારી છે કે તે 8 વર્ષના પ્રતિબંધ પછી કઠોળની નિકાસને મંજૂરી આપે.
સરકાર શા માટે નિકાસની મંજૂરી આપવામાં સંકોચ કરી રહી છે?
એક સમય હતો જ્યારે ભારત કઠોળ માટે આત્મનિર્ભર હતું. દેશમાં એક વર્ષમાં કઠોળનું 200 લાખ ટનથી પણ વધુ ઉત્પાદન થતું હતું જયારે સ્થાનિક માંગ 200 લાખ ટન જેટલી ન હતી. આપણે આ અતિરિક્ત જથ્થાની આપણા પાડોશી દેશોમાં નિકાસ કરતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આપણા કઠોળના ઉત્પાદનમાં ઉતાર આવ્યો અને તે ઘટીને પ્રતિ વર્ષ 150 લાખ ટન થયું. જેથી કરીને આપણને આયાત કરવી પડતી હતી. હવે જયારે આપણી પાસે અતિરિક્ત જથ્થો છે, નિકાસની મંજૂરી મેળવવા માટે આ અનુકૂળ પરિસ્થિતિ છે.
જો કે, સરકાર હજી પણ નિકાસને મંજૂરી આપવા માટે ખચકાટ અનુભવી રહી છે. વર્ષ 2016-17 માં દેશમાં 229.5 લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. જે તાજેતરના વર્ષોમાં એક વિક્રમી આંકડો છે. પાછલા વર્ષે આપણે ફક્ત 163.5 લાખ ટન ઉત્પાદન કરી શક્યા હતાં. જયારે ભારતની વાર્ષિક માંગ આશરે 240-250 લાખ ટન છે. માટે જ સરકાર હજી પણ આયાત પર નિર્ભર છે, જો કે આ નિર્ભરતા ની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વધુમાં, સરકાર દેશની આગામી વર્ષની કઠોળની માંગને પહોંચી વળવા ચિંતિત છે. આ ખરીફ મોસમમાં, દરેક કઠોળનો વાવેતર વિસ્તાર (અડદને બાદ કરતા) નીચો રહ્યો છે. આગામી તહેવારોની મોસમ અને શાકભાજીના ઊંચા ભાવોને કારણે સ્થાનિક બજારોની માંગમાં વધારો થયો છે. સરકાર એ બાબતે ચિંતિત છે કે પુરવઠામાં અવરોધ આવતા ભાવોમાં તીવ્ર ઉછાળ અવની શક્યતા છે.
જોકે, ભાવમાં આવેલા ઉતાર ને લીધે સરકાર ચિંતિત છે, કારણ કે આ પરિસ્થિતિમાં ખેડૂતોની પ્રતિક્રિયા કેટલે અંશે તીવ્ર અને નકારાત્મક રહેશે તેનો સરકારને ડર છે. દિલ્હીમાં તુવેરની દાળની વર્તમાન છૂટક કિંમત આશરે રૂ. 71-72 પ્રતિ કિલોગ્રામ છે જે એક વર્ષ પહેલાની રૂ. 83 પ્રતિ કિલોગ્રામ ની સરખામણીએ નીચે છે. એક વર્ષ પૂર્વેથી તુવેરનું ઉત્પાદન 80 ટકાથી વધ્યું હતું. તે હિસાબે જો 2017-18 પાક વર્ષમાં તુવેરના ઉત્પાદનમાં ઘટાડો પણ આવે તો પણ કિંમતોમાં કોઈપણ પ્રકારના વધારાને અંકુશમાં રાખવા માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહેશે, તેમ એક ટોચ ના સરકારી અધિકારી દ્વારા જણાવાયું હતું.
અડદ અને મગની દાળનું વિવરણ
અડદની દાળ:
માંગ: 12 થી 14 લાખ ટન
ઉત્પાદન: 18 થી 20 લાખ ટન
આયાત: 2 લાખ ટન
ન્યુનતમ સમર્થન મૂલ્ય: રૂ. 5,050 પ્રતિ ક્વિંટલ
બજાર ભાવ: રૂ. 4,200 પ્રતિ ક્વિંટલ
મગની દાળ:
માંગ: 15 થી 17 લાખ ટન
ઉત્પાદન: 22 થી 24 લાખ ટન
આયાત: 1 લાખ ટન
ન્યુનતમ સમર્થન મૂલ્ય: રૂ. 4,400 પ્રતિ ક્વિંટલ
બજાર ભાવ: રૂ. 3,500 પ્રતિ ક્વિંટલ